રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક ૩૦ થી વધુ થયો છે. હાલમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ 84 કેસ છે.
બનાસકાંઠાના સુઈગામ, રાજકોટમાં ગોંડલ તાલુકાના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત નીપજ્યાં છે.
સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં 11 વર્ષીય બાળકીનું જ્યારે રાજકોટમાં ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 7 વર્ષના બાળકનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ ઉપરાંત બનાસકાંઠાના સુઈગામમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે, સારવાર હેઠળ રહેલા દર્દીનું આજે હોસ્પિટલમાં મોત થયું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના ખારાઘોડા જૂના ગામ, મૂળી તાલુકાના લિયા ગામ અને ચુડા ગામમાં ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેને પગલે ત્રણેય તાલુકામાં 255 જેટલી આરોગ્ય ટુકડી દેખરેખની કામગીરી કરી રહી છે.
મહેસાણામાં પણ ચાંદીપુરા વાઈરસને અટકાવવા જિલ્લાની 477 આરોગ્યની ટુકડીએ 243 ગામમાં 1 લાખ 54 હજાર 786 ઘરોમાં સર્વે કર્યો હતો.
Site Admin | July 22, 2024 7:47 PM | ચાંદીપુરા
રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા