મીની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષ બૌંતેરા લોકમેળાનો કચ્છમાં આજથી પ્રારંભ થયો છે. રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ નખત્રાણા તાલુકાના સાયરા ખાતે આયોજીત આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે મોટા યક્ષ મંદિર પરિસરના વિકાસ માટે 10 કરોડના ભંડોળની જાહેરાત કરી હતી. કાર્યક્રમ પ્રસંગે સંબોધન કરતા મુળુભાઈ બેરાએ જણાવ્યું કે કચ્છના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ પણ અને વારસો પણ સૂત્ર સાથે લોકમેળાઓને જીવંત બનાવી રાખવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે. આ ભાતીગળ લોકમેળાને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હતા.
તો માહિતી અને પ્રાસરણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ભૂજ દ્વારા વિકસીત ભારત 2047 વિષય અંતર્ગતનું એક પ્રદર્શન આ મેળા ખાતે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. ભારતના વિકાસ વિશેની માહિતી અને માર્ગદર્શન છેવાડાના લોકો સુધી પહોંચે એ માટેના કેન્દ્ર સરકારના આ અભિગમને પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરાએ આવકાર્યો હતો.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ભુજ તાલુકામાં આવેલી વન વિભાગની મોચીરાઈ નર્સરીની મુલાકાત લઈને કચ્છમાં ચાલી રહેલી સામાજિક વનીકરણની કામગીરીની સમીક્ષા કરી હતી.
Site Admin | September 22, 2024 7:23 PM
મીની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષ બૌંતેરા લોકમેળાનો કચ્છમાં આજથી પ્રારંભ