બાંગલાદેશના ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારત સરકારે સોમવારે ભારતમાં વચગાળાના રોકાણ માટે મંજૂરી આપી હતી. એક અહેવાલ પ્રમાણે, શેખ હસીના બ્રિટનમાં શરણ પ્રાપ્ત કરે ત્યાં સુધી ભારત તેમને તમામ મદદ પૂરી પાડશે. જો કે, શેખ હસીનાને રાજકીય આશ્રય આપવા અંગે બ્રિટન સરકારે કોઇ પુષ્ટી કરી નથી. હસીનાની સાથે તેમનાં બહેન રેહાના પણ છે, જેઓ બ્રિટનનાં નાગરિક છે.
ઉલ્લેખનીય છે કે હિંસા અને અરાજકતાને પગલે ગઈકાલે શેખ હસિના પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને સૈન્ય હેલિકોપ્ટરમાં બેસીને ભારત આવ્યા હતા. દેશમાં સર્જાયેલા રાજકીય અવકાશ વચ્ચે સૈન્યએ સત્તા સંભાળી હતી. રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દિને એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં સંસદ વિખેરીને વચગાળાની સરકાર બનાવાશે. ગઈકાલે ઢાંકામાં બાંગ્લાદેશના સૈન્ય પ્રમુખની હાજરીમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, સામુદાયિક પ્રતિનિધિઓની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સૈન્ય દેશમાં અરાજકતાની સ્થિતિને ડામવા પૂરતા પગલાં લઈ રહ્યું છે.
ગઈકાલે ઢાકામાં વિદ્યાર્થીઓ સંગઠનોની વિશાળ રેલી બાદ દેશભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. બળવાખોરોએ પ્રધાનમંત્રી આવાસ સહિતની સરકારી ઇમારતોમાં ઘૂસીને નુકસાન પહોંચાડ્યું હતું. બાંગ્લાદેશ સૈન્યના મીડિયા વિંગ – ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન એટલે કે ISPR એ એક નિવેદનમાં જણાવ્યું છે કે સૈન્ય પ્રમુખ વકાર અઝ-ઝમાન ટૂંક સમયમાં વિદ્યાર્થી અને શિક્ષકોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે.
સૈન્ય પ્રમુખની જાહેરાત બાદ સરકારી અને અર્ધસરકારી ઑફિસ, ખાનગી ઑફિસ, ફેક્ટરી, શાળા સહિત તમામ પ્રકારના શિક્ષણ સંસ્થાઓ આજે રાબેતા મુજબ ખુલ્યા છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં છેલ્લા એક મહિનાથી થઈ રહેલા પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
Site Admin | August 6, 2024 11:00 AM | aakshvani | aakshvaninews
બાંગલાદેશના ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારત સરકારે સોમવારે ભારતમાં વચગાળાના રોકાણ માટે મંજૂરી આપી હતી