પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી. દરમિયાન શ્રી મોદીએ ભૂસ્ખલનથી પીડિત લોકો સાથે વાત કરી. તેમ જ દુર્ઘટનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારા 2 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ સાંત્વના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ મેપ્પાડીની હૉસ્પિટલમાં સારવાર હેઠળ ઈજાગ્રસ્તો સાથે પણ વાત કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ ભૂસ્ખલનથી સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત ચૂરલમાલા અને મુંડક્કઈની પણ મુલાકાત લીધી હતી.
શ્રી મોદીએ ચૂરલમાલામાં સેનાએ બનાવેલા બેલી બ્રિજની મુલાકાત લઈ સેના, વિશેષ અભિયાન સમૂહ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રીએ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન્, પ્રવાસન, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપી સાથે મળી આજે પંચિરિવટ્ટમ, મુંડક્કઈ અને અટ્ટામાલાના ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
Site Admin | August 10, 2024 8:09 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી – હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા