કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગેરકાયદેસર ડ્રગ્સના વેપારના નેટવર્કને ખતમ કરવાની જરૂર છે અને સરકાર તેની સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધશે. છત્તીસગઢના નવા રાયપુરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરતાં તેમણે આ પ્રમાણે જણાવ્યું. આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં છત્તીસગઢમાં ડ્રગ્સ ,નશીલા દ્રવ્યોની સ્થિતિ પર સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય અને છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના 100 મા વર્ષે 2047 સુધીમાં દેશને નશામુક્ત બનાવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ હવે દરેક દેશવાસીઓનો સંકલ્પ બની રહ્યો છે. તેમણે કહ્યું કે ગેરકાયદેસર ડ્રગ્સનો વેપાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. આમાંથી આવતા નાણાં આતંકવાદ અને ડાબેરી ઉગ્રવાદને પ્રોત્સાહન આપે છે અને દેશની અર્થવ્યવસ્થાને નબળી પાડે છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ છત્તીસગઢની તેમની મુલાકાત દરમિયાન નવા રાયપુરમાં “પીપલ ફોર પીપલ” અભિયાન શરૂ કર્યું. આ અભિયાન “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આ વિસ્તારમાં એક લાખથી વધુ રોપાઓ વાવવામાં આવશે.
Site Admin | August 25, 2024 7:48 PM
ગેરકાયદેસર ડ્રગ્સના વેપારના નેટવર્કને ખતમ કરવાની જરૂર છે સરકાર તેની સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધશે : કેન્દ્રીય ગૃહમંત્રી